Chapter 81 of 150

ગીતશાસ્ત્ર81

ઈશ્વર જે આપણું સામર્થ્ય છે, તેમની સમક્ષ મોટેથી ગાઓ; યાકૂબના ઈશ્વર સમક્ષ હર્ષનાદ કરો.

ગીત ગાઓ અને ઢોલક વગાડો, સિતાર અને મધુર વીણા સાથે વગાડો.

ચંદ્રદર્શન તેમ જ પૂનમના દિવસે એટલે આપણા પવિત્ર પર્વને દિવસે, રણશિંગડું વગાડો.

કેમ કે એમ કરવું એ ઇઝરાયલને માટે વિધિ છે, તે યાકૂબના ઈશ્વરનો હુકમ છે.

જ્યારે તે મિસર દેશની સામે નીકળ્યા ત્યારે તેમણે યૂસફમાં એ સાક્ષી ઠરાવી; હું ઓળખતો નહોતો એવાની વાણી મેં ત્યાં સાંભળી,

“મેં તમારા ખભાનો ભાર ઉતાર્યો; તેના હાથ વજનદાર ટોપલાથી મુક્ત થયા.

સંકટમાં તમે મને પોકાર કર્યો, તેથી મેં તમને છોડાવ્યા; ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તમને પ્રત્યુત્તર આપ્યો. મરીબાહનાં પાણી આગળ મેં તારી પરીક્ષા કરી. સેલાહ.

હે મારા લોકો, સાંભળો, કેમ કે આ મારી ચેતવણી છે, હે ઇઝરાયલ, જો તમે મારું સાંભળો, તો કેવું સારું!

તારામાં કોઈ અન્ય દેવ ન હોવો જોઈએ; તું કોઈ પારકા દેવની પૂજા કરીશ નહિ.

તને મિસર દેશમાંથી બહાર કાઢી લાવનાર તારો ઈશ્વર યહોવાહ હું છું. તારું મુખ ઉઘાડ અને હું તેને ભરી દઈશ.

પણ મારા લોકોએ મારી વાણી સાંભળી નહિ; ઇઝરાયલે મારો આદર કર્યો નહિ.

તેથી મેં તેઓને તેઓનાં હૃદયની હઠ પ્રમાણે ચાલવા દીધા કે જેથી તેઓ પોતાની યોજનાઓ પ્રમાણે વર્તે.

મારા લોકો મારું સાંભળે અને મારા લોકો મારા માર્ગોમાં ચાલે, તો કેવું સારું!

તો હું તેઓના શત્રુઓને પરાજિત કરું અને તેઓના વૈરીઓ વિરુદ્ધ મારો હાથ ઉપાડું.

જેઓ યહોવાહને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી સંકોચાશે! તેઓનું અપમાન સદાને માટે રહેશે.

હું શ્રેષ્ઠ ઘઉંથી તેઓને તૃપ્ત કરીશ; ખડકમાંના મધથી હું તને સંતોષ પમાડીશ.”

ગીતશાસ્ત્ર 81 · KJV Audio
0:00
0:00