જેઓ મારી પાછળ લાગેલા છે તેઓની વિરુદ્ધ તમારા ભાલાનો ઉપયોગ કરો; મારા આત્માને કહો, “હું તારો ઉદ્ધાર કરનાર છું.”
તેઓએ વગર કારણે મારે માટે ખાડામાં પોતાની જાળ સંતાડી રાખી છે; વિનાકારણ તેઓએ મારા જીવને માટે ખાડો ખોદ્યો છે.
તેઓના પર અચાનક વિપત્તિ આવી પડો. પોતાના જાળમાં તેઓ પોતે જ ફસાઈ પડો. પોતાના ખોદેલા ખાડામાં પડીને તેઓનો સંહાર થાઓ.
મારા સઘળા બળથી હું કહીશ કે, “હે યહોવાહ, તમારા જેવું કોણ છે? જે દીનને તેના કરતાં વધારે બળવાનથી બચાવે છે અને દીન તથા કંગાલને લૂંટનારાથી છોડાવે છે.”
પણ, જ્યારે તેઓ બીમાર હતા, ત્યારે હું ટાટ પહેરતો; હું ઉપવાસથી મારા જીવને દુઃખી કરતો અને મારી પ્રાર્થના મારા હૃદયમાં પાછી આવતી હતી .
તે લોકો જાણે મારા ભાઈઓ અને મારા નજીકના મિત્રો હોય તેવો વર્તાવ મેં તેઓની સાથે રાખ્યો; પોતાની માતાને માટે વિલાપ કરનારની માફક હું શોકથી નમી જતો.
પણ જ્યારે મારી પડતી થઈ, ત્યારે તેઓ હર્ષ પામતા અને ટોળે વળતા; હું તે જાણતો નહિ, એવી રીતે તેઓ મારી વિરુદ્ધ ટોળે વળતા.
હે પ્રભુ, ક્યાં સુધી શાંત બેસી રહી જોયા કરશો? તેઓના સંહારથી મારા જીવને તથા સિંહોથી મારા આત્માને બચાવી લો.
તેઓને પોતાના હૃદયમાં એમ કહેવા ન દો કે, “આહા, અમારે જે જોઈતું હતું, તે અમારી પાસે છે.” તેઓને એમ કહેવા ન દો કે, “અમે તેને ગળી ગયા છીએ .”
મારા નુકસાનમાં આનંદ પામનારા સર્વ બદનામ થાઓ અને ઝંખવાણા પડો. મારી વિરુદ્ધ બડાઈ કરનારાઓ અપમાનિત થઈને શરમાઈ જાઓ.
જેઓ મારા ન્યાયીપણામાં આનંદ કરે છે; તેઓ હર્ષ પામીને જયજયકાર કરો; તેઓ હમેશાં કહો, જે પોતાના સેવકની આબાદીમાં ખુશ રહે છે, તે યહોવાહની સ્તુતિ થાઓ.