હે યહોવાહ, હું તમને વિનંતિ કરીશ; હે મારા ખડક, મને તરછોડશો નહિ. જો તમે મારી સાથે મૌન ધારણ કરશો, તો હું કબરમાં ઊતરી જનારા જેવો થઈ જઈશ.
જ્યારે હું તમને વિનંતી કરું, ત્યારે મારા કાલાવાલા સાંભળજો, જ્યારે હું મારા હાથ તમારા પરમપવિત્રસ્થાન તરફ જોડું, ત્યારે મારી યાચનાના કાલાવાલા સાંભળજો.
જેઓ મુખ પર શાંતિ અને હૃદયમાં પાપ રાખીને પોતાના પડોશી સાથે બોલે છે, તે દુષ્ટ અને કુકર્મીઓની સાથે મને ધકેલી દેશો નહિ.
તેઓનાં કૃત્ય પ્રમાણે અને તેઓનાં કર્મોની દુષ્ટતા પ્રમાણે તેઓને ફળ આપો; તેઓના હાથનાં કામ પ્રમાણે તેઓને ફળ આપો; તેઓને યોગ્ય બદલો આપો.
કેમ કે તેઓ યહોવાહના માર્ગો તથા તેમના હાથનાં કામો સમજતા નથી, તે તેઓને તોડી પાડશે અને કદી તેઓને સ્થિર કરશે નહિ.
યહોવાહ મારું સામર્થ્ય અને મારી ઢાલ છે; મારા હૃદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે અને મને તેમની સહાય મળી છે. માટે મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે અને તેમની સ્તુતિ ગાઈને હું તેમનો આભાર માનીશ.