Chapter 104 of 150

ગીતશાસ્ત્ર104

હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન. હે યહોવાહ મારા ઈશ્વર, તમે અતિ મહાન છો; તમે વૈભવ તથા ગૌરવ ધારણ કર્યાં છે.

તમે વસ્ત્રની જેમ અજવાળું પહેર્યું છે; પડદાની જેમ તમે આકાશને વિસ્તારો છો.

તમારા આકાશી ઘરનો પાયો તમે અંતરિક્ષનાં પાણી પર નાખ્યો છે; તમે વાદળાંને તમારા રથ બનાવ્યા છે; તમે પવનની પાંખો પર સવારી કરો છો.

તમે પવનોને તમારા દૂત બનાવો છો અને તમારા સેવકો અગ્નિના ભડકા છે.

તમે પૃથ્વીને તેના પાયા પર સ્થિર કરી છે જેથી તે ખસે નહિ.

તમે પૃથ્વીને વસ્ત્રની જેમ જળના ભંડારોથી આચ્છાદિત કરો છો; પાણીએ પર્વતોને આચ્છાદિત કર્યાં છે.

તમારી ધમકીથી તેઓ નાસી ગયાં; તમારી ગર્જનાથી તેઓ જતાં રહ્યાં.

પહાડો ચઢી ગયા અને ખીણો ઊતરી ગઈ જે સ્થળ તમે પાણીને માટે મુકરર કર્યું હતું, ત્યાં સુધી તે પ્રસરી ગયાં.

તેઓ ફરીથી પૃથ્વીને ઢાંકે નહિ માટે તમે તેઓને માટે હદ બાંધી છે કે જેથી તેઓ તે પાર ન કરી શકે;

તેમણે ખીણોમાં વહેતાં ઝરણાં બનાવ્યાં; તે પર્વતોની વચ્ચે વહે છે.

તે સર્વ પશુઓને પાણી પૂરું પાડે છે; રાની ગધેડાંઓ પણ પોતાની તરસ છિપાવે છે.

આકાશના પક્ષીઓ ઝરણાંઓને કિનારે માળા બાંધે છે; વૃક્ષોની ડાળીઓ મધ્યે ગાયન કરે છે.

તે ઓરડામાંથી પર્વતો પર પાણી સિંચે છે. પૃથ્વી તેમનાં કામના ફળથી તૃપ્ત થાય છે.

તે જાનવરને માટે ઘાસ ઉપજાવે છે અને માણસના માટે શાકભાજી ઉપજાવે છે કે જેથી માણસ ભૂમિમાંથી અન્ન ઉપજાવે છે.

તે માણસને આનંદ આપનાર દ્રાક્ષારસ, તેના મુખને તેજસ્વી કરનાર તેલ અને તેના જીવનને બળ આપનાર રોટલી તે નિપજાવે છે.

યહોવાહનાં વૃક્ષો, એટલે લબાનોનનાં દેવદારો; જે તેમણે રોપ્યાં હતાં, તેઓ પાણીથી ભરપૂર છે.

ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે. વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે.

ઊંચા પર્વતો પર રાની બકરાઓને અને ખડકોમાં સસલાને રક્ષણ અને આશ્રય મળે છે.

ઋતુઓને માટે તેમણે ચંદ્રનું સર્જન કર્યું; સૂર્ય પોતાનો અસ્તકાળ જાણે છે.

તમે અંધારું કરો છો એટલે રાત થાય છે ત્યારે જંગલનાં પશુઓ બહાર આવે છે.

સિંહનાં બચ્ચાં શિકાર માટે ગર્જના કરે છે અને તેઓ ઈશ્વર પાસે પોતાનું ભોજન માગે છે.

સૂર્ય ઊગે કે તરત તેઓ જતાં રહે છે અને પોતાના કોતરોમાં સૂઈ જાય છે.

માણસ પોતાના કામકાજ કરવા બહાર આવે છે અને સાંજ સુધી પોતાનો ઉદ્યોગ ચલાવે છે.

હે યહોવાહ, તમારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તમે તે સર્વને બુદ્ધિપૂર્વક બનાવ્યાં છે; તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.

જુઓ આ વિશાળ તથા ઊંડા સમુદ્રમાં, અસંખ્ય જીવજંતુઓ, નાનાંમોટાં જળચરો છે.

વહાણો તેમાં આવજા કરે છે અને જે મગરમચ્છ તેમાં રમવા માટે તમે ઉત્પન્ન કર્યાં છે તે સમુદ્રમાં રહે છે.

તમે તેઓને યોગ્ય સમયે ખાવાનું આપો છો, તેથી આ સર્વ તમારી રાહ જુએ છે.

જ્યારે તમે તેઓને આપો છો, ત્યારે તેઓ ભેગા થાય છે; જ્યારે તમે તમારો હાથ ખોલો છો, ત્યારે તેઓ તૃપ્ત થાય છે.

જ્યારે તમે તમારું મુખ ફેરવો છો, ત્યારે તેઓ ગભરાઈ જાય છે; જો તમે તેઓનો પ્રાણ લઈ લો છો, તો તેઓ મરણ પામે છે અને પાછાં ધૂળમાં મળી જાય છે.

જ્યારે તમે તમારો આત્મા મોકલો છો, ત્યારે તેઓ ઉત્પન્ન થાય છે અને તમે દેશભરનું નવીકરણ કરો છો.

યહોવાહનો મહિમા સદાકાળ ટકી રહો; પોતાના સર્જનથી યહોવાહ આનંદ પામો.

તે પૃથ્વી પર દ્રષ્ટિ કરે છે અને તે કંપે છે; તે પર્વતોને સ્પર્શે છે અને તેઓમાંથી ધુમાડો નીકળે છે.

હું જીવનપર્યંત યહોવાહની પ્રશંસાનાં ગીતો ગાઈશ; હું મારા છેલ્લાં શ્વાસ સુધી યહોવાહની સ્તુતિ કરીશ.

તેમના માટેના મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ; હું યહોવાહમાં આનંદ કરીશ.

પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો અને દુષ્ટોનો અંત આવો. હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન. યહોવાહની સ્તુતિ કરો.

ગીતશાસ્ત્ર 104 · KJV Audio
0:00
0:00