માટે જો ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો પવિત્ર આત્માની કંઈ સંગત, જો કંઈ હૃદયની અનુકંપા તથા કરુણા હોય,
તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે, તમે એક જ મનના થાઓ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક હૃદયના થાઓ.
તેથી, મારા પ્રિય ભાઈઓ, તમે જેમ હંમેશા આધીન રહેતા હતા તેમ, કેવળ મારી હાજરીમાં જ નહિ, પણ હવે વિશેષે કરીને મારી ગેરહાજરીમાં પણ તમારો ઉદ્ધાર થાય માટે ભય તથા કંપારીસહિત પ્રયત્ન કરો.
કેમ કે જે પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઇચ્છવાની તથા પ્રયત્ન કરવાની પ્રેરણા આપે છે, તે તો ઈશ્વર છે.
કે, જેથી કુટિલ તથા આડી પ્રજા મધ્યે તમે નિર્દોષ તથા સાલસ, ઈશ્વરનાં નિષ્કલંક સંતાન, જીવનનું વચન પ્રગટ કરીને દુનિયામાં જ્યોતિઓ તરીકે પ્રકાશો.
જેથી ખ્રિસ્તનાં સમયમાં મને ગર્વ કરવાનું એવું કારણ મળે કે હું નિરર્થક દોડ્યો નથી અને મેં વ્યર્થ શ્રમ કર્યો નથી.
પણ જો હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર રેડાવું પડે તોપણ હું આનંદ કરીશ અને તમારી સર્વની સાથે આનંદ કરીશ.
પણ હું પ્રભુ ઈસુમાં આશા રાખું છું કે, હું તિમોથીને તમારી પાસે વહેલો મોકલીશ, જેથી તમારી ખબર જાણીને મને પણ આનંદ થાય.
પણ તમને તો અનુભવથી ખાતરી થઈ છે કે જેમ દીકરો પિતાની સાથે કામ કરે, તેમ તેણે સુવાર્તા ના પ્રસાર ને માટે મારી સાથે સેવા કરી.
તોપણ મારો ભાઈ એપાફ્રોદિતસ, મારી સાથે કામ કરનાર તથા સહયોદ્ધો, તેમ જ તમારો સંદેશવાહક તથા મારી જરૂરિયાત પૂરી પાડનાર છે’ તેને તમારી પાસે મોકલવાની અગત્ય મને જણાઈ;
કારણ કે તે તમો સર્વ પર બહુ પ્રેમ રાખતો હતો અને તે ઘણો ઉદાસ હતો, કેમ કે તમે સાંભળ્યું હતું કે તે બીમાર છે;
તે મરણતોલ બીમાર હતો ખરો; પણ ઈશ્વરે તેના પર દયા કરી, કેવળ તેના પર જ નહિ, પણ મારા પર પણ કે, મને શોક ન થાય અને આઘાત ન લાગે.