“ઇઝરાયલના લોકોને કહે, ‘જે કૃત્યો કરવાની યહોવાહે મના કરી છે તે ન કરવા તેનું પાલન કરે, જો કોઈ વ્યક્તિ અજાણતા મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરે તેને માટે આ નિયમો છે.
જો પ્રમુખ યાજક પાપ કરીને લોકો પર દોષ મૂકે, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને સારુ તે યહોવાહ પ્રત્યે ખોડખાંપણ વગરનો એક જુવાન બળદ ચઢાવે.
તે બળદને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે યહોવાહની આગળ લાવે અને બળદના માથા પર પોતાનો હાથ મૂકીને તેને યહોવાહની સમક્ષ કાપે.
યાજક પોતાની આંગળી તે રક્તમાં બોળીને તેમાંથી યહોવાહની આગળ પરમપવિત્રસ્થાનના પડદાની સામે સાત વાર છાંટે.
સુવાસિત દહનીયાર્પણની વેદી મુલાકાતમંડપમાં યહોવાહની આગળ છે તેનાં શિંગ પર યાજક તે રક્તમાંથી ચોપડે અને જે યજ્ઞવેદી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે છે તેના થડમાં બળદનું સઘળું રક્ત તે રેડી દે.
બે મૂત્રપિંડો તથા તેની પરની કમર પાસેની ચરબી અને કલેજા પરનું અંતરપડ મૂત્રપિંડો સુદ્ધાં તેણે કાઢી લેવું.
બળદનો બાકીનો ભાગ, તે છાવણીની બહાર કોઈ સ્વચ્છ જગ્યાએ, એટલે રાખ નાખવાની જગ્યાએ લાકડાં સળગાવીને તેને બાળી મૂકે. જ્યાં રાખ નાખવામાં આવે છે ત્યાં તેને બાળી નાખવામાં આવે.
જો સમગ્ર ઇઝરાયલની પ્રજા અજાણતાં પાપ કરીને, તે બાબત સમુદાયની નજરથી ગુપ્ત રહેલી હોય અને જે કૃત્યો કરવાની યહોવાહે મના કરેલી છે તેમાંનું કોઈ કૃત્ય કરીને તેઓ દોષિત થયા હોય,
તો જ્યારે જે પાપ તેઓએ કર્યુ હોય તેની જાણ પડે ત્યારે સમુદાય પાપાર્થાર્પણને માટે એક જુવાન બળદ ચઢાવે અને તેને મુલાકાતમંડપની આગળ લાવે.
જે વેદી યહોવાહની સમક્ષ મુલાકાતમંડપમાં છે તેના શિંગ પર તે રક્તમાંથી થોડું રક્ત રેડે અને બાકીનું બધું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળની દહનીયાર્પણની વેદીનાં પાયામાં રેડી દેવું.
એ બળદને તે આ પ્રમાણે કરે. પાપાર્થાર્પણના બળદની જેમ જ તેણે એ બળદનું પણ કરવું અને યાજક લોકોને માટે પ્રાયશ્ચિત કરે અને તેઓને માફ કરવામાં આવશે.
તે બળદને છાવણીની બહાર લઈ જાય અને જેમ તેણે પહેલા બળદને બાળી નાખ્યો હતો તેમ એને પણ બાળી દે. તે આખી પ્રજાને માટે પાપાર્થાર્પણ છે.
જ્યારે કોઈ અધિકારી પાપ કરીને જે બધાં કૃત્યો કરવાની તેના ઈશ્વર યહોવાહે મના કરીને આજ્ઞા આપી છે તેમાંનું કોઈ પાપ અજાણે કરીને દોષિત ઠરે,
ત્યારે જો જે પાપ વિષે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે, તો તે એક બકરાનું એટલે એક ખોડખાંપણ વગર વગરના નરનું અર્પણ લાવે.
બકરાના માથા પર તે પોતાનો હાથ મૂકીને જ્યાં યહોવાહની સમક્ષ દહનીયાર્પણ કપાય છે ત્યાં તે તેને કાપે. આ પાપાર્થાર્પણ છે.
યાજક પોતાની આંગળી વડે પાપાર્થાર્પણના રક્તમાંનું લઈને દહનીયાર્પણની વેદીનાં શિંગ પર તે લગાડે અને બાકીનું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દે.
શાંત્યર્પણના યજ્ઞની ચરબીની જેમ તેની બધી ચરબીનું દહન કરે. તેના પાપને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.
જે કૃત્યો કરવાની યહોવાહે મના કરી છે તેમાંનું કોઈ પણ પાપ કરીને કોઈ સામાન્ય માણસ અજાણતા પાપ કરે અને જો તે દોષમાં પડે,
તો જો, જે પાપ વિષે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે, તો તે એક ખોડખાંપણ વગરની બકરીનું અર્પણ લાવે, જે પાપ વિષે તે દોષિત થયો હોય તેને લીધે તે લાવે.
યાજક પોતાની આંગળી વડે તેના રક્તમાંનું થોડું રક્ત લઈને દહનીયાર્પણની વેદીનાં શિંગ પર તે લગાડે અને બાકીનું બધું જ રક્ત વેદીના પાયામાં રેડી દે.
જેમ શાંત્યર્પણના યજ્ઞની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની બધી ચરબી તે કાઢી લે. યાજક યહોવાહ પ્રત્યે સુવાસને માટે વેદી પર તેનું દહન કરે. યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.
તે પોતાનો હાથ પાપાર્થાર્પણના માથા પર મૂકે અને જ્યાં દહનીયાર્પણ કપાય છે, ત્યાં તે જગ્યાએ પાપાર્થાર્પણને માટે તેને કાપે.
યાજક પોતાની આંગળી વડે પાપાર્થાર્પણના રક્તમાંનું થોડું રક્ત લઈને દહનીયાર્પણની વેદીનાં શિંગ પર લગાડે અને બાકીનું બધું રક્ત વેદીના પાયામાં રેડી દે.