“તું ઇઝરાયલી લોકોને એમ કહે કે, ‘જ્યારે તમારામાંનો કોઈ માણસ યહોવાહને અર્પણ ચઢાવે ત્યારે તે અર્પણ તમારે પશુમાંનું, એટલે જાનવરમાંનું ખાસ કરીને ઘેટાંબકરાંમાંનું ચઢાવવું.
જો કોઈનું અર્પણ જાનવરના દહનીયાર્પણનું હોય, તો તે નર હોવું જોઈએ અને તે ખોડખાંપણ વગરનું હોવું જોઈએ. તેણે જાનવરને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ચઢાવવું, જેથી તે પોતે યહોવાહની આગળ માન્ય થાય.
જે વ્યક્તિ તે જાનવરને લઈને આવે તેણે પોતાનો હાથ તે દહનીયાર્પણના માથા પર મૂકવો એટલે પ્રાયશ્ચિત્ત કરવા તેનો સ્વીકાર કરવામાં આવશે.
પછી તે બળદને યહોવાહની સમક્ષ કાપે. યાજકો, એટલે હારુનના પુત્રો, તેના રક્તને લાવીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આવેલી વેદીની ચારે બાજુએ છાંટે.
પણ જાનવરના આંતરિક ભાગો તથા પગ પાણીથી ધોઈ નાખે. પછી યાજક વેદી પર તે બધાનું અર્પણ કરે. તે દહનીયાર્પણ તરીકે વેદી પર મૂકવું અને એ યહોવાહને માટે સુવાસિત છે.
જો દહનીયાર્પણને માટે તેનું અર્પણ ટોળામાંથી એટલે કે ઘેટાંબકરાંમાંથી હોય, તો તે ખોડખાંપણ વગરનો નર પશુ જ હોવો જોઈએ.
તે તેને વેદીની ઉત્તર બાજુએ યહોવાહની સમક્ષ કાપે. યાજકો, એટલે હારુનના પુત્રો, તેનું રક્ત વેદીની આગળ પાછળ અને ચારે બાજુએ છાંટે.
તે તેને માથું તથા ચરબી સહિત કાપીને તેના ટુકડા કરે અને યાજક તેઓને વેદી પરના અગ્નિ પરનાં લાકડાં પર ગોઠવે.
પણ આંતરિક ભાગો તથા પગને તે પાણીથી ધોઈ નાખે. પછી યાજક તે બધું અર્પીને વેદી પર તેનું અર્પણ કરે. તે યહોવાહને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે.
યાજક તેને વેદી આગળ લાવીને તેનું માથું મરડી નાખે અને વેદી પર તેનું દહન કરે. પછી તેનું રક્ત વેદીની એક બાજુએ રેડી દે.