તોપણ, કેટલાક પશુઓની માત્ર ખરી ફાટવાળી હોય અથવા જે માત્ર વાગોળતાં હોય તે પશુઓ તમારે ખાવાં જોઈએ નહિ, જેમ કે ઊંટ, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી. તેથી ઊંટ તમારે માટે અશુદ્ધ છે.
જળચરોમાંથી તમે આટલાં ખાઈ શકો: પાણીમાં જે બધાંને પંખ તથા ભિંગડાં હોય તેઓને તમારે ખાવા, પછી તે સમુદ્રોમાંનાં હોય કે નદીઓમાંનાં હોય.
પણ સમુદ્રોમાંનાં કે નદીઓમાંનાં જે બધાં જળચરો પાણીમાં તરે છે તેમાંના તથા સર્વ જળચરોમાંનાં જે સર્વને પંખ તથા ભિંગડાં હોતા નથી, તેઓ તમને નિષેધાત્મક છે.
તોપણ પગે ચાલનાર પાંખવાળાં જંતુઓ, જેઓને પગ ઉપરાંત જમીન ઉપર કૂદવાને પગ હોય છે, તેઓમાંથી આ તમે ખાઈ શકો છો.
જે પશુઓની ખરી ફાટેલી હોય પણ તેના બરાબર બે સરખા ભાગ થતા ન હોય અથવા જે પશુઓ વાગોળતાં ના હોય, તે તમને અશુદ્ધ છે. જે કોઈ તેમનો સ્પર્શ કરે તે અશુદ્ધ ગણાય.
ચાર પગવાળાં જાનવરોમાંનું જે જે પંજા વડે ચાલતું હોય તે તમારે માટે અશુદ્ધ છે. જે કોઈ તેઓના મૃતદેહનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
અને જે કોઈ તેમના મૃતદેહને ઉપાડે, તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. આ પશુઓ તમારે માટે અશુદ્ધ છે.
સર્વ પેટે ચાલનારાં સર્પટિયાંઓમાં આટલાં તમારે માટે અશુદ્ધ છે. જે કોઈ તેઓના મૃતદેહનો સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
અને જો તેઓમાંથી કોઈ પણ મરી જાય અને કોઈપણ વસ્તુ ઉપર તેમનું શબ પડે તો તે વસ્તુ અશુદ્ધ ગણાય, તે કોઈ પણ લાકડાની, વસ્ત્રોની, ચામડાની અથવા તાટની બનેલી હોય, કોઈપણ કામમાં વપરાતું વાસણ હોય, તો તેને પાણીમાં નાખવું; તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. પછી તે શુદ્ધ ગણાશે.
જો આમાંનું કોઈ પણ સર્પટિયું કોઈપણ માટીનાં વાસણમાં પડે, તો તેમાં જે કંઈ ભરેલું હોય તે અશુદ્ધ ગણાય અને તેને તમારે ભાંગી નાંખવું.
જે કોઈએ ખાવાનાં પદાર્થ પર એવાં માટલામાંથી પાણી રેડ્યું હોય તો તે અશુદ્ધ ગણાય. અશુદ્ધ થયેલાં વાસણોમાં કોઈ પણ પીણું હોય તો તે અશુદ્ધ ગણાય.
જે કોઈ વસ્તુ પર તેઓનો મૃતદેહ પડે તો તે અશુદ્ધ ગણાય. તે ભઠ્ઠી કે ખાવા બનાવવાનું વાસણ હોય તો તેને ભાંગી નાખવું. તે અશુદ્ધ છે અને તે તમારે માટે અશુદ્ધ ગણાય.
જો તેઓ પાણીના ટાંકામાં, ઝરણાંમાં કે જ્યાં પીવાના પાણીનો સંગ્રહ થાય છે તેમાં પડે તો તે પાણી શુદ્ધ ગણાય. પણ જો કોઈ પાણીની અંદરના શબનો સ્પર્શ કરે તો તે અશુદ્ધ ગણાય.
જે પશુઓ ખાવાની તમને છૂટ આપવામાં આવી છે એવું પશુ જો મરી જાય, તો તેના મૃતદેહનો જે કોઈ સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
અને જે કોઈ એ મૃતદેહમાંથી તેનું માંસ ખાય તો તે પોતાના વસ્ત્રોને ધોઈ નાખે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જે કોઈ તેના મૃતદેહને ઊંચકે તો તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
સર્વ પેટે ચાલનારાં અને ચાર પગે ચાલનારાં અથવા વધારે પગોવાળાં, જમીન પર પેટે ચાલનારાં સર્વ પણ તમારે ખાવા નહિ, કારણ કે તે નિષેધાત્મક છે.
કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું. એ માટે તમે પોતાને શુદ્ધ કરો અને તમે પવિત્ર થાઓ કેમ કે હું પવિત્ર છું. જમીન પર પેટે ચાલનારાં કોઈ પણ સર્પટિયાંથી પોતાને અશુદ્ધ ન કરો.
કેમ કે હું યહોવાહ છું, તમારો ઈશ્વર થવા માટે જે તમને મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યો. માટે તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું.