“યરુશાલેમની શેરીઓમાં આમતેમ ફરો. જુઓ અને જાણો, તેના ચોકોમાં શોધો. જો ન્યાયી તથા વિશ્વાસુપણાના માર્ગે ચાલનાર એવો એક પણ માણસ મળે, તો હું યરુશાલેમને માફ કરીશ.
હે યહોવાહ, શું તમારી આંખો સત્યને જોતી નથી? તમે તેઓને માર્યા પણ તેઓ દુઃખી થયા નહિ. તમે તેઓને પાયમાલ કર્યા, પણ છતાં તેઓ સુધર્યા નહિ. તેઓએ પોતાના મુખ ખડક કરતાં પણ વધુ કઠણ કર્યાં છે.
પછી મેં કહ્યું, “ખરેખર તેઓ ડરપોક લોકો છે. તેઓ મૂર્ખ છે, તેઓ યહોવાહના માર્ગો અને તેઓના ઈશ્વરના નિયમો જાણતા નથી.
હું નામાંકિત વડીલો પાસે જઈને તેઓની સાથે યહોવાહ વિષે વાત કરીશ, કેમ કે તેઓ યહોવાહના માર્ગો જાણે છે, તેઓ પોતાના ઈશ્વરના નિયમો જાણે છે: પણ તે લોકોએ ઈશ્વરની ઝૂંસરી ભાંગી નાખી છે અને જોતરો તોડી નાખ્યાં છે.
આથી જંગલમાંનો સિંહ તેઓને મારી નાખશે. અરણ્યમાંથી વરુ તેઓને ફાડી ખાશે. ચિત્તો તેઓના નગરો પર તાકી રહેશે. જે કોઈ તેમાંથી બહાર આવશે તેઓને તે ફાડી ખાશે, કેમ કે તેઓનાં પાપ અતિ ઘણાં છે તેઓનાં દુષ્કર્મો વધ્યાં છે.
હું કેમ કરીને તેમને માફી આપું? તમારાં સંતાનોએ મારો ત્યાગ કર્યો છે અને જેઓ દેવો નથી તેઓને વચન આપ્યા છે. મેં તેમને ખવડાવીને તૃપ્ત કર્યા પણ તેઓએ વ્યભિચાર કર્યો. અને ગણિકાઓનાં ઘરોમાં તેઓનાં ટોળેટોળાં ભેગાં થયાં.
આ સર્વ બાબતોને માટે મારે શું તેમને સજા ન કરવી? એમ યહોવાહ કહે છે. શું હું આવી પ્રજાઓ પર મારું વૈર ન વાળું?
તેમની દ્રાક્ષવાડીઓના કોટ પર ચઢો. અને તેઓનો વિનાશ કરો, પણ તેઓનો સંપૂર્ણ વિનાશ ન કરો. તેની લીલી ડાળીઓ કાપી નાખો, કેમ કે તે યહોવાહ તરફની નથી.
‘તે સત્ય નથી,’ તેમ કહીને તેઓએ મારો નકાર કર્યો છે. અમારા પર સંકટ આવી પડશે નહિ, અમે દુકાળ કે તલવાર જોઈશું નહિ.
તેથી સૈન્યોના ઈશ્વર યહોવાહ આ પ્રમાણે કહે છે કે; જુઓ, તમે આ કહ્યું છે, તે માટે, હું તમારા મુખમાં શબ્દોને અગ્નિરૂપ કરીશ. અને લોકોને બળતણરૂપ કરીશ અને તે તેઓને ભસ્મ કરશે.
યહોવાહ કહે છે, જુઓ! હે ઇઝરાયલના લોકો, હું તમારી સામે દૂરથી એક પ્રજાને લાવીશ. તે તો પ્રાચીન અને બળવાન પ્રજા છે. અને તેની ભાષા તમે જાણતા નથી. અને તે જે બોલે છે તે તું સમજતો નથી.
તેઓ તમારી ફસલ, વળી તમારાં દીકરા દીકરીઓ અને તમારો ખોરાક ખાઈ જશે. તેઓ તમારાં ટોળાંઓ અને જાનવરોને ખાઈ જશે; તેઓ તમારી દ્રાક્ષવાડીઓ અને અંજીરીના ફળને ખાઈ જશે; અને તમે જેના પર આધાર રાખો છો તે તમારા કિલ્લેબંધ નગરોને તેઓ યુદ્ધશસ્ત્રથી તોડી પાડશે.
અને જ્યારે તમે પૂછશો કે, ‘શા માટે અમારા ઈશ્વર યહોવાહ આ શિક્ષા અમારા પર લાવ્યા છે?’ ત્યારે તમે તેઓને કહેજો કે, “જેમ તમે મારો ત્યાગ કરીને તમારા વતનમાં રહીને તમે અન્ય દેવોની સેવા કરી છે. તેમ જે દેશ તમારો નથી તેમાં તમે પરદેશીઓની સેવા કરશો.’”
‘હે મૂર્ખ લોકો! આ સાંભળો, મૂર્તિઓને ઇચ્છાશક્તિ હોતી નથી; તેઓને આંખો છે છતાં જોતી નથી અને કાનો છે છતાં સાંભળતી નથી.
યહોવાહ કહે છે, શું તમે મારાથી બીતા નથી? શું તમે મારી આગળ ધ્રૂજ્શો નહિ? મેં હંમેશને માટે સમુદ્રને રેતીની મર્યાદા ઠરાવી છે કે તે તેને ઓળંગી શકે નહિ, જો કે તેનાં મોજાં ઊછળે, તોપણ તેઓ તેને ઓળંગી શકે નહિ.
આપણો ઈશ્વર યહોવાહ યોગ્ય સમયે તમને પ્રથમ તથા છેલ્લો વરસાદ આપે છે. અને જે આપણે માટે કાપણીના નિયત સપ્તાહ રાખી મૂકે છે. તેનાથી આપણે બીહીએ એમ તેઓ પોતાના હ્રદયમાં કહેતા નથી.”
એ કૃપાદાનો તમારા પોતાના દુષ્કમોર્થી વિમુખ થયાં છે. અને તમારાં પોતાનાં પાપોએ તમારું હિત રોકી રાખ્યું છે.
મારા લોકોમાં દુષ્ટ માણસો છે અને શિકારીઓ જેમ ગુપ્ત રહીને શિકાર કરવાનો લાગ શોધે છે, તેમ તેઓ મનુષ્યને પકડવા માટે ફાંદો તૈયાર કરે છે.
તેઓ હૃષ્ટપુષ્ટ અને તેજસ્વી થયા છે. તેઓનાં દુષ્ટ કાર્યોની કોઈ સીમા નથી. તેઓ અનાથોની વિનંતી સાંભળતાં નથી છતાં તેઓ સમૃદ્ધ થાય છે. અને તેઓ દરિદ્રોના હકનું રક્ષણ કરતા નથી.
યહોવાહ કહે છે કે શું આ બધી બાબતોને લીધે હું તેમને સજા નહી કરું? એવી પ્રજાને માટે મારો જીવ બદલો શું નહિ લે?