પણ હવે હે યાકૂબ, તારા ઉત્પન્નકર્તા અને હે ઇઝરાયલ, તારા બનાવનાર યહોવાહ એવું કહે છે, “તું બીશ નહિ, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે; મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે.
જ્યારે તું પાણીમાં થઈને જઈશ, ત્યારે હું તારી સાથે હોઈશ; અને તું નદીઓમાં થઈને જઈશ, ત્યારે તેઓ તને ડુબાડશે નહિ. જ્યારે તું અગ્નિમાં ચાલીશ, ત્યારે તને આંચ લાગશે નહિ અને જ્વાળા તને બાળશે નહિ.
કેમ કે હું યહોવાહ તારો ઈશ્વર છું, હું ઇઝરાયલનો પવિત્ર તારો ઉદ્ધારનાર છું. મેં તારા ઉદ્ધારના બદલામાં મિસર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે.
કેમ કે તું મારી દૃષ્ટિમાં મૂલ્યવાન તથા સન્માન પામેલો છે, મેં તારા પર પ્રેમ કર્યો છે. તેથી હું તારે બદલે માણસો અને તારા જીવને બદલે લોકો આપીશ.
હું ઉત્તરને કહીશ, ‘તેઓને છોડી દે;’ અને દક્ષિણને કહીશ, ‘તેઓને અટકાવીશ નહિ;’ મારા દીકરાઓને વેગળેથી અને મારી દીકરીઓને પૃથ્વીને છેડેથી લાવ,
જે સર્વને મારા નામમાં બોલાવવામાં આવ્યા છે, જેઓને મેં મારા મહિમાને અર્થે ઉત્પન્ન કર્યા છે તેઓને લાવ; મેં તેઓને બનાવ્યા છે; હા મેં તેઓને પેદા કર્યા છે.
સર્વ પ્રજાઓ એકઠી થાઓ અને લોકો ભેગા થાઓ. તેઓમાંથી કોણ આવી વાત જાહેર કરે અને અગાઉ બનેલી બિના અમને કહી સંભળાવે? તેઓ પોતાને સાચા ઠરાવવા પોતાના સાક્ષીઓ હાજર કરે અને તેઓ સાંભળીને કહે, ‘એ ખરું છે.’
યહોવાહ કહે છે, “તમે મારા સાક્ષી છો,” અને મારા સેવકને મેં પસંદ કર્યો છે, જેથી તમે મને જાણો અને મારો ભરોસો કરો તથા સમજો કે હું તે છું. મારા અગાઉ કોઈ ઈશ્વર થયો નથી અને મારી પાછળ કોઈ થવાનો નથી.
મેં તો જાહેર કર્યું છે, બચાવ કર્યો છે અને સંભળાવ્યું છે, કે તમારામાં કોઈ અન્ય દેવ નથી. તમે મારા સાક્ષી છો” અને “હું જ ઈશ્વર છું” એમ યહોવાહ કહે છે.
વળી આજથી હું તે છું અને કોઈને મારા હાથમાંથી છોડાવનાર કોઈ નથી. હું જે કામ કરું છું તેને કોણ ઊંધું વાળશે?”
તમારો ઉદ્ધાર કરનાર, ઇઝરાયલના પવિત્ર યહોવાહ કહે છે: “તમારે માટે હું બાબિલને મોકલીશ અને તેઓને બંદીવાસના રૂપમાં નીચે લઈ જઈશ અને બાબિલનો આનંદ, વિલાપના ગીતમાં ફેરવાઈ જશે.
જે રથ અને ઘોડાને, લશ્કરને તથા શૂરવીરને બહાર લાવે છે તે હું છું. તેઓ બધા સાથે પડી જશે; તેઓ ફરી ઊઠશે નહિ; તેઓ બુઝાઈ ગયા છે, તેઓ દિવેટની જેમ હોલવાયા છે.
જુઓ, હું એક નવું કામ કરનાર છું; તે હમણાં શરૂ થશે; શું તમે તે સમજી શકતા નથી? હું તો અરણ્યમાં માર્ગ તથા ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ.
જંગલનાં હિંસક પશુઓ, શિયાળો તથા શાહમૃગો મને માન આપશે, કારણ કે, મારા પસંદ કરેલા લોકોને પીવા માટે હું અરણ્યમાં પાણી તથા ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપું છું.
તારાં દહનીયાર્પણોનાં એક પણ ઘેટાંને તું મારી પાસે લાવ્યો નથી; તેમ તારા યજ્ઞોથી તેં મને માન આપ્યું નથી. મેં ખાદ્યાર્પણ માગીને તારા પર બોજો ચઢાવ્યો નથી, કે ધૂપ માગીને તને કાયર કર્યો નથી.
તેં મારા માટે નાણાં ખર્ચ્યા નથી, અગર વેચાતું લીધું નથી, કે તારા યજ્ઞોની ચરબીથી મને તૃપ્ત કર્યો નથી; પરંતુ તેં મારા પર તારા પાપનો બોજો મૂક્યો છે અને તારા અન્યાયે મને કાયર કર્યો છે.