“હે યાજકો, તમે આ સાંભળો. હે ઇઝરાયલ લોકો, ધ્યાન આપો. હે રાજકુટુંબ તું સાંભળ. કેમ કે તમારી વિરુદ્ધ ચુકાદો આવી રહ્યો છે. મિસ્પાહમાં તમે ફાંદારૂપ બન્યા હતા, તાબોર પર જાળની જેમ પ્રસરેલા છો.
હું એફ્રાઇમને ઓળખું છું, ઇઝરાયલ મારાથી છુપાયેલું નથી. કેમ કે હે, એફ્રાઇમ તું તો ગણિકાના જેવું છે; ઇઝરાયલ અપવિત્ર છે.
તેમનાં કામો તેમને પોતાના ઈશ્વર તરફ પાછા ફરતાં રોકશે, કેમ કે તેઓમાં વ્યભિચારનો આત્મા છે, તેઓ યહોવાહને જાણતા નથી.
ઇઝરાયલનો ગર્વ તેની વિરુદ્ધ સાક્ષી આપે છે; ઇઝરાયલ તથા એફ્રાઇમ પોતાના અપરાધમાં ઠોકર ખાશે; યહૂદિયા પણ તેમની સાથે ઠોકર ખાશે.
તેઓ યહોવાહની શોધ કરવા પોતાનાં ટોળું તથા જાનવર લઈને જશે, પણ તે તેઓને મળશે નહિ, કેમ કે તે તેઓની પાસેથી જતા રહ્યા છે.
તેઓ યહોવાહને અવિશ્વાસુ થયા છે, કેમ કે તેઓએ બીજા કોઈનાં સંતાનોને જન્મ આપ્યો છે. હવે ચંદ્રદર્શનનો દિવસ તેઓને તેમના વતન સહિત નાશ કરશે.
ગિબયાહમાં શિંગ તથા રામામાં રણશિંગડું વગાડો. બેથ-આવેનમાં ભયસૂચક વગાડો: ‘હે બિન્યામીન અમે તારી પાછળ છીએ!’
જ્યારે એફ્રાઇમે પોતાની બીમારી જોઈ, અને યહૂદિયાએ પોતાનો ઘા જોયો, ત્યારે એફ્રાઇમ આશ્શૂરની પાસે ગયો અને મોટા રાજા યારેબની પાસે સંદેશાવાહક મોકલ્યો. પણ તે તમને સાજા કરી શકે એમ નથી કે, તમારા ઘા રુઝાવી શકે એમ નથી.
કેમ કે હું એફ્રાઇમ પ્રત્યે સિંહની જેમ, યહૂદિયાના લોકો પ્રત્યે જુવાન સિંહ જેવો થઈશ. હું, હા હું જ, તેઓને ફાડી નાખીને જતો રહીશ; હું તેમને પકડી લઈ જઈશ, તેઓની રક્ષા કરનાર કોઈ હશે નહિ.