ઇબ્રામ નવાણું વર્ષનો થયો ત્યારે ઈશ્વરે તેને દર્શન આપીને કહ્યું, “હું સર્વસમર્થ ઈશ્વર છું, તું મારી આગળ ચાલ અને પ્રામાણિક થા.
હવે તારું નામ ઇબ્રામ નહિ રહે, પણ તારું નામ ઇબ્રાહિમ થશે - કેમ કે ઘણી દેશજાતિઓના પિતા તરીકે મેં તારી પસંદગી કરી છે.
તારો તથા તારા પછીના તારા વંશજોનો ઈશ્વર થવા સારુ, હું મારો કરાર સનાતન કરાર તરીકે મારી તથા તારી વચ્ચે અને પેઢી દર પેઢી તારાં વંશજોની વચ્ચે કરીશ.
જે દેશમાં તું રહે છે, તે આખો કનાન દેશ, હું તને અને તારા પછીના તારા વંશજોને કાયમી વતન તરીકે આપીશ. અને હું તેઓનો ઈશ્વર થઈશ.”
મારી તથા તારી વચ્ચે અને તારા પછી તારા વંશજો વચ્ચે, મારો જે કરાર તમારે પાળવો, તે એ જ કે તમારામાંના દરેક પુરુષે પોતાની સુન્નત કરવી.
તમારામાંના દરેક છોકરાંની તેના જન્મ પછી આઠમે દિવસે સુન્નત કરવી. એટલે તમારી સમગ્ર પેઢીમાંથી, જે દરેક નર બાળક તમારા ઘરમાં જન્મ્યો હોય તેની અને વિદેશી પાસેથી નાણાં આપી વેચાતો લીધો હોય પછી ભલે તે તમારા વંશનો ન હોય, તેની પણ સુન્નત કરવી.
જે તારા ઘરમાં જન્મેલો હોય અને જે તારા પૈસાથી વેચાતો લીધેલો હોય તેની સુન્નત જરૂર કરવી. આમ તો મારો કરાર તમારા શરીરમાં સનાતન કરાર તરીકે રહેશે.
દરેક પુરુષ જેના શરીરમાં સુન્નત કરવામાં આવી નહિ હોય તેને પોતાના લોકોમાંથી અલગ કરાશે . તેણે મારો કરાર તોડ્યો છે.”
હું તેને આશીર્વાદ આપીશ અને હું તેના દ્વારા તને દીકરો આપીશ. હું તેને આશીર્વાદ આપીશ અને તે દેશજાતિઓની માતા થશે. તેનાં સંતાનોમાંથી દેશજાતિઓના રાજાઓ થશે.”
પછી ઇબ્રાહિમ જમીન સુધી નમી પડીને હસ્યો અને પોતાના મનમાં બોલ્યો, “જે સો વર્ષનો છે તેને શું દીકરો થાય ખરો? નેવું વર્ષની સારાને શું દીકરો જન્મે ખરો?”
ઈશ્વરે કહ્યું, “ના, પણ તારી પત્ની સારા તારા માટે એક દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઇસહાક પાડશે. તેની સાથે તેના પછીના તેના વંશજોને માટે હું મારો કરાર સદાના કરાર તરીકે સ્થાપીશ.
ઇશ્માએલ માટે, મેં તારું સાંભળ્યું છે. જો, મેં તેને આશીર્વાદ આપ્યો છે, હું તેને સફળ કરીશ અને તેને અતિ ઘણો વધારીશ. તે બાર કુળોના આગેવાનોનો પિતા થશે અને હું તેનાં સંતાનોની એક મોટી કોમ બનાવીશ.
વળી ઇસહાક કે જેને આવતા વર્ષે નિયુક્ત કરેલા સમયે સારા તારે સારુ જન્મ આપશે, ત્યારે હું તેની સાથે મારો કરાર સ્થાપીશ.”
પછી ઇબ્રાહિમે પોતાના દીકરા ઇશ્માએલને, પોતાના ઘરમાં જે સર્વ જન્મેલાં તેઓને તથા પોતાને પૈસે જે સર્વ વેચાતા લીધેલા, એવા ઇબ્રાહિમના કુટુંબોમાંના દરેક પુરુષને લઈને, જેમ તેને ઈશ્વરે કહ્યું હતું તેમ, તે જ દિવસે તેઓની સુન્નત કરી.