જ્યારે તમે ચિઠ્ઠી નાખીને વારસો વહેંચી લો ત્યારે તમારે યહોવાહને અર્પણ ચઢાવવું; એટલે કે તે દેશનો અમુક ભાગ અર્પણ કરવો. તે ભાગ પચીસ હજાર હાથ લાંબો તથા દસ હજાર હાથ પહોળો હોય. તેની ચારે બાજુનો ભાગ પવિત્ર ગણાય.
આમાંથી પવિત્રસ્થાનની ચારેબાજુ પાંચસો હાથ લાંબી તથા પાંચસો હાથ પહોળી ચોરસ જગા રાખવી તેની આસપાસ પચાસ હાથ પહોળી જગા રાખવી.
આ ભાગમાંથી તારે પચીસ હાથ લાંબી અને દશ હાથ પહોળી જગા માપવી તે તારે માટે પવિત્રસ્થાન એટલે પરમપવિત્રસ્થાન થાય.
તે જમીનનો પવિત્ર ભાગ છે. જેઓ યહોવાહની સેવા કરવા સારુ પાસે આવે છે, તે યાજકોને સારુ રહે. તે જગા તેઓનાં ઘરો માટે તથા પવિત્રસ્થાનને સારુ થાય.
“પવિત્ર ભૂમિની પાસે લગોલગ પાંચહજાર હાથ પહોળો અને પચીસહજાર હાથ લાંબો ભાગ નગરને માટે નિયુક્ત કરવો. આ નગર બધા ઇઝરાયલી લોકો માટે છે.
સરદારને માટે પવિત્રસ્થાનની તથા નગરની બન્ને બાજુએ તથા પશ્ચિમ દિશાએ તથા પૂર્વ દિશાએ જમીન હોય. લંબાઈમાં ભાગોમાંના એકની બરાબર, પશ્ચિમ તરફની સીમા પૂર્વ તરફની સીમા સુધી હોય.
સરદારને આ જમીન ઇઝરાયલમાં સંપત્તિ તરીકે મળે, મારા સરદારો ફરી કદી મારા લોકો પર જુલમ કરે નહિ; પણ, તેઓ ઇઝરાયલી લોકોને, તેઓનાં કુળ પ્રમાણે જમીન આપે.’”
પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘હે ઇઝરાયલના સરદારો, ‘આટલું બસ કરો, હિંસા તથા ઝઘડો દૂર કરો; યથાર્થ ઇનસાફ કરો! મારા લોકો પરથી તમારો જુલમ બંધ કરો.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.
એફાહ તથા બાથ એક જ માપના હોવા જોઈએ. બાથમાં હોમેરનો દસમો ભાગ હોય, એફાહમાં હોમેરનો દસમો ભાગ હોય. તેનું માપ હોમેરના ભાગ જેટલું હોય.
એક શેકેલ વીસ ગેરાહનો હોય; માનેહ સાઠ શેકેલનો હોવો જોઈએ. તમારો માનેહ વીસ શેકેલ, પચીસ તથા પચાસ શેકેલનો હોવો જોઈએ.
તમારે નીચે દર્શાવ્યા પ્રમાણે અર્પણ કરવું: દરેક હોમેર ઘઉંમાંથી એફાહનો છઠ્ઠો ભાગ, દરેક હોમેર જવમાંથી છઠ્ઠો ભાગ તમારે આપવો.
તેલનો નીમેલો ભાગ આ પ્રમાણે એટલે દરેક કોર માટે, દરેક હોમેર માટે તથા દર હોમેર એક દશાંશ બાથ તેલનો હોવો જોઈએ, કેમ કે દશ બાથનો એક હોમેર થાય છે.
ઇઝરાયલના પાણીવાળા પ્રદેશમાંનાં બસો ટોળાંમાંથી એક ઘેટું કે બકરો ખાદ્યાર્પણ તરીકે, દહનીયાર્પણ તરીકે અને શાંત્યર્પણ તરીકે લોકોને શુદ્ધ કરવા માટે આપવું. આમ પ્રભુ યહોવાહ કહે છે.
પર્વોમાં, ચંદ્રદર્શનોમાં તથા વિશ્રામવારોમાં, ઇઝરાયલી લોકોના ખાસ તહેવારોમાં દહનીયાર્પણો, ખાદ્યાર્પણો તથા પેયાર્પણો આપવાં એ સરદારોની જવાબદારી છે. તે ઇઝરાયલી લોકોનાં શુદ્ધિકરણ માટે પાપાર્થાર્પણો, ખાદ્યાર્પણો, દહનીયાર્પણ તથા શાંત્યર્પણો પૂરા પાડશે.’”
પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘પહેલા મહિનાના પહેલા દિવસે તમારે ખોડખાંપણ વગરનો એક વાછરડો લેવો અને પવિત્રસ્થાનને માટે પાપાર્થાર્પણ ચઢાવવું.
યાજક પાપાર્થાર્પણનું કેટલુંક રક્ત લઈને તે સભાસ્થાનની બારસાખ પર, વેદીના ચાર ખૂણા પર તથા અંદરના આંગણાના દરવાજે લગાડે.
દરેક વ્યક્તિએ અજાણતાંથી તથા અજ્ઞાનતાથી પાપ કર્યું હોય તો તેણે તે મહિનાના સાતમા દિવસે પણ આ પ્રમાણે કરવું. સભાસ્થાન માટે આ રીતે તમારે શુદ્ધ કરવું.
પહેલા મહિનાના ચૌદમા દિવસે તમારે પાસ્ખાપર્વ પાળવું. સાત દિવસ સુધી પાસ્ખાપર્વ પાળવું. તારે બેખમીર રોટલી ખાવી.
એ પર્વના સાત દિવસ સરદાર યહોવાહ માટે દહનીયાર્પણ તૈયાર કરે સાત દિવસ ખોડખાંપણ વગરના સાત બળદો તથા ખોડખાંપણ વગરના સાત ઘેટાને, પાપાર્થાર્પણ તરીકે દરરોજ એક બકરાને રજૂ કરે.