હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી ઉચ્ચાર અને કહે કે, પ્રભુ યહોવાહ કહે છે: ‘આવનાર દિવસ દુઃખમય છે!’ એવું બૂમો પાડીને કહો,
મિસર વિરુદ્ધ તલવાર આવશે, મારી નંખાયેલા લોકો મિસરમાં પડશે, ત્યારે કૂશમાં દુઃખ થશે ત્યારે તેઓ તેની સંપત્તિ લઈ જશે અને તેના પાયા તોડી પાડવામાં આવશે.
યહોવાહ આમ કહે છે: મિસરને ટેકો આપનારાઓ પડી જશે અને તેઓના સાર્મથ્યનું અભિમાન ઊતરી જશે. મિગ્દોલથી તે સૈયેને સુધી તેઓના સૈનિકો તલવારથી પડી જશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.
તે દિવસે નિશ્ચિંત રહેનારા કૂશીઓને ભયભીત કરવા માટે સંદેશાવાહક મારી આગળથી વહાણોમાં જશે, મિસરના દિવસે આફત આવી હતી તેમ તેઓ મધ્યે આફત આવી પડશે. તે દિવસ આવી રહ્યો છે.
તે તથા તેની સાથેનું તેનું સૈન્ય, જે પ્રજાઓ માટે ત્રાસરૂપ છે, તેઓને દેશનો નાશ કરવા માટે લાવવામાં આવશે; તેઓ મિસર સામે પોતાની તલવાર ખેંચશે અને મૃત્યુ પામેલા લોકોથી દેશને ભરી દેશે.
હું નદીઓને સૂકવી નાખીશ અને હું દેશને દુષ્ટ માણસોના હાથમાં વેચી દઈશ. હું દેશને તથા તેની અંદર જે છે તે બધાને પરદેશીઓને હાથે વેરાન કરી દઈશ. હું યહોવાહ તે બોલ્યો છું.”
પ્રભુ યહોવાહ કહે છે: “હું મૂર્તિઓનો નાશ કરીશ, હું નોફના પૂતળાંઓનો અંત લાવીશ. ત્યાર પછી મિસર દેશમાં કોઈ રાજકુમારો નહિ રહે, હું મિસર દેશમાં ભય મૂકી દઈશ.
જ્યારે હું તાહપન્હેસમાં મિસરે મૂકેલી ઝૂંસરીઓ તોડી ભાંગી નાખીશ, ત્યારે તેના સામર્થ્યનું અભિમાન સમાપ્ત થઈ જશે. ત્યાં વાદળ તેને ઢાંકશે, તેની દીકરીઓ ગુલામીમાં જશે.
“હે મનુષ્યપુત્ર, મેં મિસરના રાજા ફારુનનો હાથ ભાંગી નાખ્યો છે. જુઓ, તને ફરીથી તલવાર પકડી જશે એવો મજબૂત કરવા સારુ દવા લગાડીને તેના પર પાટો બાંધી લીધો નથી.”
તેથી પ્રભુ યહોવાહ આમ કહે છે, કે “જુઓ, હું મિસરના રાજા ફારુનની વિરુદ્ધ છું. હું તેના બન્ને હાથ એટલે મજબૂત તથા ભાંગેલો હાથ ભાંગી નાખીશ, તેના હાથમાંથી તલવાર પાડી નાખીશ.
હું બાબિલના રાજાના હાથ બળવાન કરીશ અને તેના હાથમાં મારી તલવાર આપીશ જેથી હું ફારુનના હાથ ભાંગી નાખીશ. પ્રાણઘાતક ઘા વાગેલો માણસ જેમ નિસાસા નાખે તેમ તે બાબિલના રાજાની આગળ નિસાસા નાખશે.
કેમ કે હું બાબિલના રાજાના હાથ બળવાન બનાવીશ, ફારુનના હાથ નીચા પડશે, હું બાબિલના રાજાના હાથમાં મારી તલવાર આપીશ, તે તેનાથી મિસર દેશ પર હુમલો કરશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.