હવે હું તને સત્ય પ્રગટ કરીશ. ત્રણ રાજાઓ ઇરાનમાં ઊભા થશે, ચોથો રાજા તે બીજા રાજાઓ કરતાં ઘણો વધારે ધનવાન થશે. તે પોતાના ધનનો ઉપયોગ કરીને ગ્રીસના રાજ્ય વિરુદ્ધ બધાને ઉશ્કેરશે.
જ્યારે તે ઊભો થશે, ત્યારે તેનું રાજ્ય ભાંગી પડશે અને આકાશના ચાર પવનો તરફ તેના વિભાગ પડશે, પણ તે તેના વંશજોને આપવામાં આવશે નહિ. તેમ જ જે પદ્ધતિથી તે રાજ કરતો હતો, તે રાજપદ્ધતિ પ્રમાણે ચાલશે, કેમ કે તેનું રાજ્ય ઉખેડી નાખવામાં આવશે અને જેઓ તેના વંશજો નથી તેઓને તે આપવામાં આવશે.
દક્ષિણનો રાજા બળવાન થશે; પણ તેના સરદારોમાંનો એક તેના કરતાં વધારે બળવાન થશે, સત્તા ભોગવશે અને તેનું રાજ્ય પણ મોટું હશે.
થોડાં વર્ષો પછી સાચા સમયે તેઓ સુલેહ કરશે. દક્ષિણના રાજાની દીકરી ઉત્તરના રાજા પાસે કોલકરાર કરવાને આવશે. પણ તે પોતાનું બળ ખોશે, તેને તજી દેવામાં આવશે. તે તથા જેઓ તેને લાવ્યા હતા તેઓને તથા તેના પિતાને તથા તે દિવસોમાં તેને બળ આપનારને પણ તજી દેવામાં આવશે.
પણ તેની જડમાંથી નીકળેલી ડાળીમાંથી એક જણ ઊભો થશે. તે સૈન્ય પર હુમલો કરશે અને ઉત્તરના રાજાના કિલ્લામાં પ્રવેશ કરશે. તે તેઓની સાથે લડશે તેઓને પરાજિત કરશે.
તે તેઓના દેવોને, તેઓની ઢાળેલી મૂર્તિઓને તથા સોનાચાંદીના કિંમતી પાત્રોને કબજે કરીને પોતાની સાથે મિસરમાં લઈ જશે. થોડાં વર્ષ સુધી તે ઉત્તરના રાજા ઉપર હુમલો કરવાનું બંધ રાખશે.
તેના દીકરાઓ યુદ્ધ કરશે અને મોટાં સૈન્યો ભેગાં કરશે, તેમાંનો એક તો ધસમસતા પૂરની જેમ ફરી વળીને આ છેડાથી પેલા છેડા સુધી જશે, તે પાછો આવીને તેના કિલ્લા સુધી હુમલો કરશે.
મિસરનો રાજા ભારે ક્રોધમાં ચઢી આવશે અને ઉત્તરના રાજા સામે યુદ્ધ કરશે. ઉત્તરનો રાજા મોટું સૈન્ય ઊભું કરશે અને તે લશ્કર દક્ષિણના રાજાના હાથમાં સોંપવામાં આવશે.
સૈન્યને લઈ જવામાં આવશે, ત્યારે દક્ષિણના રાજાનું મન ગર્વથી ભરાઈ જશે, પોતાના હજારો દુશ્મનોને મારી નાખશે, પણ તે સફળ થશે નહિ.
ઉત્તરનો રાજા અગાઉના કરતાં બીજું મોટું સૈન્ય ઊભું કરશે. થોડાં વર્ષો પછી, ઉત્તરનો રાજા મોટું સૈન્ય તથા પુષ્કળ સામગ્રી લઈને ચઢી આવશે.
તે સમયમાં દક્ષિણના રાજાની વિરુદ્ધ ઘણા ઊભા થશે. તારા લોકોમાંના કેટલાક તોફાની માણસો પણ તે સંદર્શનને સાચું પાડવા માટે ઊભા થશે, પણ તેઓ ઠોકર ખાશે.
તેથી ઉત્તરનો અરામનો રાજા આવશે અને ઊંચી પાળ બાંધીને કિલ્લાબંધ નગરોને જીતી લેશે. દક્ષિણનાં લશ્કરો ટકી શકશે નહિ, તેમ જ તેના ઉત્તમ સૈનિકોમાં પણ ટકી રહેવાની બળ રહેશે નહિ.
પણ ઉત્તરનો રાજા પોતાની ઇચ્છા પ્રમાણે દક્ષિણના રાજા વિરુદ્ધ યુદ્ધ કરશે, તેને કોઈ રોકી શકશે નહિ; એ રળિયામણા દેશમાં તેની સત્તા સ્થપાશે. અને તે તેનો કબજો મેળવશે.
ઉત્તરનો રાજા પોતાના આખા રાજ્યના બળ સહિત આવશે, તે દક્ષિણના રાજા સાથે કરાર કરશે. તે દક્ષિણના રાજ્યનો નાશ કરવા માટે દક્ષિણના રાજાને પોતાની દીકરી લગ્ન કરવા માટે આપશે, પણ તે યોજના સફળ થશે નહિ કે તેને મદદ મળશે નહિ.
તે પછી, દક્ષિણનો રાજા ટાપુઓ પર ધ્યાન આપશે અને તેઓમાંના ઘણાનો કબજો કરશે. પણ સેનાપતિ તેની ઉદ્ધતાઈનો અંત લાવશે અને તેણે કરેલી ઉદ્ધતાઈ પાછી વાળીને તેના પર લાવશે.
પછી તેની જગ્યાએ એક એવો ઊભો થશે, જે જુલમથી કર લેનારને પ્રતાપી રાજ્યમાં સર્વત્ર ફેરવશે. પણ થોડા જ દિવસોમાં તેનો અંત આવશે, પણ ક્રોધમાં કે યુદ્ધમાં નહિ.
તેની જગ્યાએ એક તિરસ્કારપાત્ર પુરુષ ઊભો થશે કે જેને લોકોએ રાજ્યસત્તાનો અધિકાર આપ્યો નહોતો, તે શાંતિથી આવશે અને ખુશામતથી રાજ્ય મેળવશે.
તે પ્રાંતના સમૃદ્ધ ભાગમાં ચેતવણી આપ્યા વગર ચઢાઈ કરશે, તેના પિતૃઓએ કે તેના પિતૃઓના પિતૃઓએ કદી કર્યું નહોતું તેવું તે કરશે; તે તેઓ મધ્યે લૂંટફાટનો માલ તથા દ્રવ્ય વેરશે. તે થોડા સમય માટે જ કિલ્લેબંદીવાળા નગરો પર ચઢાઈ કરવાની યોજના કરશે.
તે પોતાની શક્તિ તથા હિંમત ભેગી કરીને દક્ષિણના રાજાની સામે મોટા સૈન્ય સાથે આવશે. દક્ષિણનો રાજા પણ બળવાન સૈન્ય સાથે તેની સામે યુદ્ધ કરશે, પણ તે ટકશે નહિ, કેમ કે તેઓ તેની વિરુદ્ધ કાવતરાં કરશે.
જે રાજાના મેજ ઉપરથી ખાશે તે તેનો નાશ કરશે. તેનું સૈન્ય પૂરની માફક તણાઈ જશે, તેઓમાંના ઘણા માર્યા જશે.
આ બે રાજાઓ, પોતાના હૃદયમાં એકબીજા વિરુદ્ધ દુષ્ટતા કરવાનો વિચાર કરશે. તેઓ એક જ મેજ પર બેસશે અને એકબીજા આગળ જૂઠું બોલશે, પણ તેઓની ઇચ્છા પૂર્ણ થશે નહિ. કેમ કે, તેઓનો અંત નક્કી સમયે જ થશે.
પછી ઉત્તરનો રાજા પુષ્કળ દ્રવ્ય લઈને પોતાને દેશ પાછો જશે; પણ તેઓનું હૃદય પવિત્ર કરાર વિરુદ્ધ રહેશે. તે પોતાની ઇચ્છા પ્રમાણે કરશે અને પોતાના દેશમાં પાછો જશે.
કેમ કે કિત્તીમનાં વહાણો તેની વિરુદ્ધ આવશે; તેથી તે નિરાશ થઈને પાછો જશે, પવિત્ર કરારને તજી દેનાર પર તે કૃપા રાખશે.
તેનાં લશ્કરો ઊભાં થશે અને પવિત્રસ્થાનને તથા કિલ્લાઓને અપવિત્ર કરશે; તેઓ નિત્યનું દહનાર્પણ લઈ લેશે, તેઓ વેરાનકારક ધિક્કારપાત્ર વસ્તુ ત્યાં સ્થાપશે.
કરારની વિરુદ્ધ ઉલ્લંઘન કરનારને તે ખુશામતથી ધર્મભ્રષ્ટ કરશે, પણ પોતાના ઈશ્વરને ઓળખનારા લોકો તો મજબૂત થશે અને પરાક્રમી કામો કરશે.
લોકોમાં જે જ્ઞાની હશે તેઓ ઘણાઓને સમજાવશે. જો કે, તો પણ તેઓ ઘણા દિવસો સુધી તલવાર તથા અગ્નિજ્વાળાથી માર્યા જશે. તેઓમાંના ઘણાને બંદીવાન તરીકે લઈ જવામાં આવશે અને તેઓની સંપત્તિને લૂંટી લેવામાં આવશે.
કેટલાક જ્ઞાની તેઓને પવિત્ર કરવા સારુ, શ્વેત કરવા સારુ, તથા શુદ્ધ કરવા સારુ અંતના સમય સુધી પ્રયત્ન કરશે પણ ઠોકર ખાશે. કેમ કે ઠરાવેલો સમય હજી આવનાર છે.
તે રાજા પોતાની ઇચ્છા પ્રમાણે કરશે. સર્વ દેવો કરતાં તે પોતાનાં વખાણ કરશે અને પોતાને મોટો માનશે, સર્વોત્તમ ઈશ્વરની વિરુદ્ધ આશ્ચર્યકારક વાતો બોલશે. તેનો ક્રોધ પૂરો થતાં તે સફળ થશે. કેમ કે જે નિર્માણ થયેલું છે તે જ પૂરું કરવામાં આવશે.
તે પોતાના પૂર્વજોના દેવો કે દેવીને કે બીજા કોઈ દેવને ગણકારશે નહિ. તે ગર્વથી વર્તશે અને બધાના કરતાં પોતાને મોટો ગણશે.
તેઓને બદલે તે કિલ્લાઓના દેવનો આદર કરશે. જેને તેના પૂર્વજો જાણતા નહોતા તેનો તે સોનાંચાંદી, મૂલ્યવાન પથ્થરથી તથા કિંમતી ભેટસોગાદોથી આદર કરશે.
પરદેશી દેવની મદદ વડે તે સૌથી મજબૂત કિલ્લાઓને જીતી લેશે. તેને સ્વીકારનારાઓને તે આદર આપશે. તે તેઓને ઘણા લોકો પર અધિકારી બનાવશે અને મૂલ્ય લઈને જમીન વહેંચી આપશે.
અંતના સમયે દક્ષિણનો મિસરનો રાજા તેના ઉપર હુમલો કરશે. ઉત્તરનો રાજા રથો, ઘોડેસવારો તથા ઘણાં વહાણો લઈને તેના ઉપર વાવાઝોડાની જેમ ઘસી આવશે. તે ઘણા દેશો પર ચઢી આવશે પૂરની જેમ બધે ફરી વળીને પાર નીકળી જશે.
પણ પૂર્વ તથા ઉત્તર તરફથી આવતી અફવાઓથી તે ભયભીત થઈ જશે, ઘણાઓનો નાશ કરવાને, ઘણાઓનો વિનાશ કરવાને ભારે ક્રોધમાં ચાલી આવશે.