હવે અંત્યોખમાં જે વિશ્વાસી સમુદાય હતો તેમાં કેટલાક પ્રબોધકો તથા ઉપદેશકો હતા, એટલે બાર્નાબાસ તથા શિમયોન જે નિગેર કહેવાતો હતો તે, તથા કુરેનીનો લુકિયસ, તથા હેરોદ રાજાનો દૂધભાઈ મનાહેમ, તથા શાઉલ.
તેઓ પ્રભુનું ભજન કરતા તથા ઉપવાસ કરતા હતા, ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે, જે સેવાકામ કરવા સારુ મેં બાર્નાબાસ તથા શાઉલને બોલાવ્યા છે તે સેવાકામને વાસ્તે તેઓને મારે સારુ અલગ કરો.
તેઓ સાલામિસ આવ્યા, ત્યારે તેઓએ યહૂદીઓના સભાસ્થાનોમાં ઈશ્વરનું વચન પ્રગટ કર્યું; યોહાન પણ સહાયક તરીકે તેઓની સાથે હતો.
તેઓ તે ટાપુ ઓળંગીને પાફોસ ગયા, ત્યાં બાર-ઈસુ નામનો એક યહૂદી તેઓને મળ્યો, તે જાદુગર તથા જૂઠો પ્રબોધક હતો.
ટાપુનો હાકેમ, સર્જિયસ પાઉલ, જે બુદ્ધિશાળી માણસ હતો, તેની સાથે તે હતો. તે હાકેમે બાર્નાબાસ તથા શાઉલને પોતાની પાસે બોલાવીને ઈશ્વરનું વચન સાંભળવાની ઇચ્છા બતાવી.
પણ એલિમાસ જાદુગર કેમ કે તેના નામનો અર્થ એ જ છે, તે હાકેમને વિશ્વાસ કરતાં અટકાવવાના ઇરાદા સાથે તેઓની સામો થયો.
‘અરે સર્વ કપટ તથા સર્વ કાવતરાંથી ભરપૂર, શેતાનના દીકરા અને સર્વ ન્યાયીપણાના શત્રુ, શું પ્રભુના સીધા માર્ગને વાંકા કરવાનું તું મૂકી દઈશ નહિ?’
હવે, જો, પ્રભુનો હાથ તારી વિરુદ્ધ છે, કેટલીક મુદત સુધી તું અંધ રહેશે, અને તને સૂર્ય દેખાશે નહિ. ત્યારે એકાએક ઘૂમર તથા અંધકાર તેના પર આવી પડ્યાં, અને હાથ પકડીને પોતાને દોરે એવાની તેણે શોધ કરવા માંડી.
પછી પાઉલ તથા તેના સાથીઓ પાફોસથી વહાણમાં બેસીને પામ્ફૂલિયાના પેર્ગા બંદરમાં આવ્યા, અને યોહાન તેઓને મૂકીને યરુશાલેમ પાછો ચાલ્યો ગયો.
ત્યારે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોના વચનોનું વાંચન પૂરું થયા પછી સભાસ્થાનના અધિકારીઓએ તેઓને કહેવડાવ્યું કે, ભાઈઓ, જો તમારે લોકોને બોધરૂપી કંઈ વાત કહેવી હોય તો કહી સંભળાવો.
ત્યારે પાઉલ ઊભો થઈને અને હાથથી ઇશારો કરીને બોલ્યો કે, ઓ ઇઝરાયલી માણસો તથા તમે ઈશ્વરનું સન્માન જાળવનારાઓ, સાંભળો;
આ ઇઝરાયલી લોકોના ઈશ્વરે આપણા પૂર્વજોને પસંદ કર્યા, અને તેઓ મિસર દેશમાં રહેતા હતા, ત્યારે તેઓને આઝાદ કર્યા, અને તે તેઓને ત્યાંથી પરાક્રમી હાથ વડે કાઢી લાવ્યા.
અને કનાન દેશમાંના સાત રાજ્યોના લોકોનો નાશ કરીને તેમણે તેઓનો દેશ આશરે ચારસો પચાસ વર્ષ સુધી તેઓને વતન તરીકે આપ્યો;
ત્યાર પછી તેઓએ રાજા માગ્યો; ત્યારે ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી બિન્યામીનના કુળનો કીશનો દીકરો શાઉલ તેઓને રાજા તરીકે આપ્યો.
પછી તેને દૂર કરીને તેમણે દાઉદને તેઓનો રાજા થવા સારુ ઊભો કર્યો, અને તેમણે તેના સંબંધી સાક્ષી આપી કે, ‘મારો મનગમતો એક માણસ, એટલે યિશાઈનો દીકરો દાઉદ, મને મળ્યો છે; તે મારી બધી ઇચ્છા પૂરી કરશે.’
યોહાન પોતાની દોડ પૂરી કરી રહેવા આવ્યો હતો એ દરમિયાન તે બોલ્યો કે, ‘હું કોણ છું એ વિષે તમે શું ધારો છો? હું તે નથી. પણ જુઓ, જે મારી પાછળ આવે છે, જેમનાં પગનાં ચંપલની દોરી છોડવાને હું યોગ્ય નથી.’
કેમ કે યરુશાલેમના રહેવાસીઓએ તથા તેઓના અધિકારીઓએ તેમને વિષે તથા પ્રબોધકોની જે વાતો દરેક વિશ્રામવારે વાંચવામાં આવે છે તે વિષે પણ અજ્ઞાન હોવાથી તેમને અપરાધી ઠરાવીને તે ભવિષ્યની વાતો પૂર્ણ કરી.
મૃત્યુને યોગ્ય શિક્ષા કરાય એવું કંઈ કારણ તેઓને મળ્યું નહિ, તેમ છતાં પણ તેઓએ પિલાતને એવી વિનંતી કરી કે તેમને મારી નંખાવો.
તેમને વિષે જે લખ્યું હતું તે સઘળું તેઓએ પૂર્ણ કર્યું ત્યારે વધસ્તંભ પરથી તેમને ઉતારીને તેઓએ તેમને કબરમાં મૂક્યા.
અને તેમની સાથે ગાલીલથી યરુશાલેમમાં આવેલા માણસોને ઘણાં દિવસ સુધી તે દર્શન આપતા રહ્યા, અને તેઓ હમણાં લોકોની આગળ તેમના સાક્ષી છે.
ઈસુને મૃત્યુમાંથી સજીવન કરીને ઈશ્વરે આપણાં છોકરાં પ્રત્યે તે વચન પૂર્ણ કર્યું છે, અને તે પ્રમાણે બીજા ગીતમાં પણ લખેલું છે કે, તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે.
તેમણે તેમને મરણમાંથી ઉઠાડ્યાં, અને તેમનો દેહ સડો પામશે નહિ, તે વિષે તેમણે એમ કહ્યું છે કે, દાઉદ પરના પવિત્ર તથા નિશ્ચિત આશીર્વાદો હું તમને આપીશ.
કેમ કે દાઉદ તો પોતાના જમાનામાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો, અને તેને પોતાના પૂર્વજોની બાજુમાં દફનાવવામાં આવ્યો, અને તેનો દેહ સડો પામ્યો.
અને જે બાબતો વિષે મૂસાના નિયમશાસ્ત્રથી તમે ન્યાય કરી શક્યા નહિ, તે સર્વ વિષે દરેક વિશ્વાસ કરનાર તેમના દ્વારા ન્યાયી ઠરે છે.
‘ઓ તિરસ્કાર કરનારાઓ, તમે જુઓ, અને આશ્ચર્ય અનુભવો અને નાશ પામો; કેમ કે તમારા દિવસોમાં હું એવું કાર્ય કરવાનો છું કે, તે વિષે કોઈ તમને કહે, તો તમે તે માનશો જ નહિ.’
અને તેઓ ભક્તિસ્થાનમાંથી બહાર આવતા હતા ત્યારે લોકોએ વિનંતી કરી કે, ‘આવતા વિશ્રામવારે એ વચનો ફરીથી અમને કહી સંભળાવજો’.
સભાનું વિસર્જન થયા પછી યહૂદીઓ તથા નવા યહૂદી થયેલા ભક્તિમય માણસોમાંના ઘણાં પાઉલ તથા બાર્નાબાસની પાછળ ગયા; તેઓએ તેઓની સાથે વાત કરી, અને તેમને સમજાવ્યું કે ઈશ્વરની કૃપામાં ટકી રહેવું.
પણ લોકોની ભીડ જોઈને યહૂદીઓને અદેખાઈ આવી. તેઓએ પાઉલની કહેલી વાતોની વિરુદ્ધ બોલીને તેનું અપમાન કર્યું.
ત્યારે પાઉલે તથા બાર્નાબાસે હિંમતથી કહ્યું કે, ‘ઈશ્વરનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી. પણ તમે તેનો નકાર કરો છો અને અનંતજીવન પામવાને પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે, જુઓ, અમે બિનયહૂદીઓ તરફ ફરીએ છીએ.
કેમ કે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે, “મેં તમને બિનયહૂદીઓને સારુ અજવાળા તરીકે ઠરાવ્યાં છે કે તમે પૃથ્વીના અંતભાગ સુધી ઉદ્ધાર સિદ્ધ કરનારા થાઓ.”
એ સાંભળીને બિનયહૂદીઓએ ખુશ થઈને ઈશ્વરનું વચન મહિમાવાન માન્યું; અને અનંતજીવનને સારુ જેટલાં નિર્માણ કરાયેલા હતા તેટલાંએ વિશ્વાસ કર્યો.
પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીન મહિલાઓને, તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને પાઉલ તથા બાર્નાબાસને કાઢી મૂક્યા.