પછી દાઉદ પોતાની સાથેના સર્વ માણસોને લઈને તે કરુબો પર બિરાજમાન ઈશ્વરનો કોશ લેવાને બાલે-યહૂદિયાથી જ્યાં કોશ હતો ત્યાં ગયો. જે સૈન્યોના ઈશ્વરના નામથી ઓળખાય છે.
તેઓએ ઈશ્વરના કોશને અબીનાદાબનું ઘર જે પર્વત પર હતું ત્યાંથી લાવ્યા અને તેને એક નવા ગાડામાં મૂક્યો. તેના દીકરાઓ, ઉઝઝા અને આહ્યો ગાડું હાંકતા હતા.
અને દાઉદ તથા ઇઝરાયલના ઘરના લોકો દેવદારના લાકડાંમાંથી બનાવેલાં સર્વ પ્રકારનાં વાજિંત્રો, વીણા, સિતાર, ખંજરી, કરતાલ તથા મંજીરા ઈશ્વર આગળ વગાડતા હતા.
જયારે તેઓ નાખોનના ખળા પાસે આવ્યા, ત્યારે બળદોએ ઠોકર ખાધી અને ઉઝઝાએ પોતાનો હાથ ઈશ્વરના કોશ તરફ લાંબો કરીને તેને પકડી રાખ્યો.
ત્યારે ઈશ્વરનો કોપ ઉઝઝા પર સળગ્યો. તેના અપરાધને લીધે ઈશ્વરે તેને ત્યાં માર્યો. ઉઝઝા ઈશ્વરના કોશ આગળ મરણ પામ્યો.
ઈશ્વરે ઉઝઝાને માર્યો તેથી દાઉદને ખોટું લાગ્યું અને તેણે તે જગ્યાનું નામ પેરેસ-ઉઝઝા પાડ્યું. તે જગ્યાનું નામ આજ સુધી પેરેસ-ઉઝઝા છે.
ડરનો માર્યો દાઉદ ઈશ્વરનો કોશ પોતાની પાસે દાઉદના નગરમાં લઈ જવા ઇચ્છતો નહોતો. તેના બદલે, તેણે ઓબેદ-અદોમ ગિત્તી નગરના ઘરમાં તેને મૂક્યો.
ઈશ્વરનો કોશ ગિત્તી ઓબેદ-અદોમના ઘરમાં ત્રણ મહિના રહ્યો. તેથી ઈશ્વરે તેને તથા તેના ઘરનાં સર્વને આશીર્વાદ આપ્યો.
હવે દાઉદ રાજાને સમાચાર મળ્યા કે, “ઈશ્વરના કોશને કારણે ગિત્તી ઓબેદ-અદોમના કુટુંબને તથા તેના સર્વસ્વને ઈશ્વરે આશીર્વાદ આપ્યો છે.” તેથી દાઉદ જઈને ઈશ્વરના કોશને ઓબેદ-અદોમના ઘરમાંથી આનંદ સાથે દાઉદના નગરમાં લાવ્યો.
ઈશ્વરનો કોશ ઊંચકીને ચાલનારાં માત્ર છ પગલાં ચાલ્યા, ત્યારે દાઉદે એક બળદ તથા એક પુષ્ટ પશુનું બલિદાન આપ્યું.
ઈશ્વરનો કોશ દાઉદના નગરમાં આવતો હતો, ત્યારે શાઉલની દીકરી મિખાલે, બારીમાંથી નજર કરીને જોયું. તેણે જોયું કે દાઉદ રાજા ઈશ્વરની આગળ કૂદતો અને નાચતો હતો. તે જોઈને તેણે દાઉદને પોતાના અંતઃકરણમાં ધિક્કાર્યો.
લોકોએ ઈશ્વરના કોશને અંદર લઈ જઈને, જે મંડપ દાઉદે તેને સારુ બનાવ્યો હતો, તેની મધ્યમાં તેને મૂક્યો. પછી દાઉદે ઈશ્વરની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચડાવ્યાં.
દાઉદ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચડાવી રહ્યો પછી, દાઉદે સૈન્યોના ઈશ્વરના નામે લોકોને આશીર્વાદ આપ્યો.
પછી તેણે સર્વ લોકને, પુરુષો તથા સ્ત્રીઓ સહિત ઇઝરાયલના આખા સમુદાયને, રોટલી, થોડું માંસ તથા સૂકી દ્રાક્ષ વહેંચી આપ્યાં. દરેક જણ પોતપોતાને ઘરે ગયા.
દાઉદ પણ પોતાના કુટુંબને આશીર્વાદ આપવા ઘરે આવ્યો. દાઉદની પત્ની શાઉલની દીકરી મિખાલ દાઉદને મળવાને બહાર આવી. અને તેની મશ્કરી કરતાં કહ્યું કે, “આજે ઇઝરાયલનો રાજા કેવો સન્માનનીય લાગતો હતો! જાણે કોઈ હલકો માણસ મર્યાદા મૂકીને નિર્વસ્ત્ર થાય, તેમ તે પોતાના ચાકરોની દાસીઓના જોતાં આજે નિર્વસ્ત્ર થયો હતો!”
દાઉદે મિખાલને જવાબ આપ્યો કે, મેં તે ઈશ્વરની આગળ નૃત્ય કર્યું છે, તેમણે મને તેમના લોકો, ઇઝરાયલ ઉપર રાજા તરીકે અભિષિક્ત કરવા સારું, તારા પિતા તથા તેના કુટુંબનાં સર્વને બદલે મને પસંદ કર્યો છે, માટે હું ઈશ્વરમાં હર્ષો ઉલ્લાસ કરીશ.
આના કરતાં પણ હું વધારે ‘હલકો’ થઈશ, હું મારી પોતાની દ્રષ્ટિમાં અપમાનિત થઈશ, પણ જે દાસીઓ મધ્યે તું બોલી છે, તેઓથી તો હું સન્માન પામીશ.