વહાલાંઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ ઈશ્વરથી છે કે નહિ એ વિષે તેઓને પારખી જુઓ; કેમ કે દુનિયામાં જૂઠાં પ્રબોધકો ઘણાં ઊભા થયા છે.
ઈસુ ખ્રિસ્ત દેહમાં આવ્યા છે, એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે ઈશ્વરનો છે, તેથી તમે ઈશ્વરનો આત્મા ઓળખી શકો છો.
જે આત્મા ઈસુ ખ્રિસ્ત દેહમાં આવ્યા તેવું કબૂલ કરતો નથી તે ઈશ્વરનો નથી; અને ખ્રિસ્ત-વિરોધીનો આત્મા જે વિષે તમે સાંભળ્યું કે તે આવે છે, તે એ જ છે અને તે હમણાં પણ દુનિયામાં છે.
તમે બાળકો, ઈશ્વરનાં છો અને તમે તેવા આત્માઓ પર વિજય પામ્યા છો, કેમ કે જે જગતમાં છે તે કરતાં જે તમારામાં છે તે મહાન છે.
આપણે ઈશ્વરના છીએ; જે ઈશ્વરને ઓળખે છે તે આપણું સાંભળે છે; જે ઈશ્વરનો નથી તે આપણું સાંભળતો નથી; એથી આપણે સત્યનો આત્મા તથા ભમાવનાર આત્મા વચ્ચેના તફાવતને પારખી શકીએ છીએ.
ભાઈ-બહેનો, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ ઈશ્વરથી છે, અને દરેક જે પ્રેમ કરે છે તે ઈશ્વરથી જન્મેલો છે અને ઈશ્વરને તે ઓળખે છે.
ઈશ્વરે પોતાના એકાકીજનિત પુત્રને દુનિયામાં એ માટે મોકલ્યા, કે તેમનાંથી આપણે જીવીએ. એ દ્વારા આપણા પર ઈશ્વરનો પ્રેમ પ્રગટ થયો,
આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો, એમાં પ્રેમ નથી, પણ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણાં પાપનું પ્રાયશ્ચિત બનવા મોકલી આપ્યા એમાં પ્રેમ છે.
કોઈએ ઈશ્વરને કદી જોયા નથી; જો આપણે એકબીજા પર પ્રેમ કરીએ તો ઈશ્વર આપણામાં રહે છે અને તેમનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થયેલો છે.
તેમણે પોતાના પવિત્ર આત્માનું દાન આપણને આપ્યું છે, તે પરથી આપણે જાણીએ છીએ કે આપણે તેમનાંમાં રહીએ છીએ અને તે આપણામાં રહે છે.
ઈશ્વરનો જે પ્રેમ આપણા પર છે તે આપણે જાણીએ છીએ, અને તે પર વિશ્વાસ કર્યો છે. ઈશ્વર પ્રેમ છે. જે પ્રેમમાં રહે છે તે ઈશ્વરમાં રહે છે અને ઈશ્વર તેનામાં રહે છે.
એથી આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે, કે ન્યાયકાળે આપણને હિંમત પ્રાપ્ત થાય, કેમ કે જેવા તે છે, તેવા આપણે પણ આ જગતમાં છીએ.
પ્રેમમાં ભય નથી, પણ પૂર્ણ પ્રેમ ભયને દૂર કરે છે, કેમ કે ભયમાં શિક્ષા છે. અને જે ભયભીત છે તે પ્રેમમાં સંપૂર્ણ થયેલો નથી.
જો કોઈ કહે કે, હું ઈશ્વર પર પ્રેમ રાખું છું, પણ પોતાના ભાઈ પર દ્વેષ કરે છે, તો તે જૂઠો છે, કેમ કે પોતાના ભાઈને તેણે જોયો છે, છતાંય તેના પર જો તે પ્રેમ કરતો નથી, તો ઈશ્વરને જેને તેણે કદી જોયા નથી તેમના પર તે પ્રેમ રાખી શકતો નથી.